છોટાઉદેપુર નો ઇતિહાસ
મધ્ય ગુજરાતના આદિવાસીક્ષેત્રે વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટીનું ઐતિહાસિક નગર અને લોકની રાજધાની એટલે મધ્યપ્રદેશની સરહદે વસેલો હાલનો છોટાઉદેપુર તાલુકો અને નગર અંદાજે ૫૫૦ વર્ષનો લેખીત દસ્તાવેજી ઇતિહાસ ધરાવતા છોટાઉદેપુર નગરની સ્થાપનાનું કારણ પાવાગઢનું પતન છે. વર્તમાનમાં ડોલોમાઇટ પથ્થરના આધારે ટકેલા અને ઓરસંગના પશ્ચિમ કિનારે વસેલા છોટાઉદેપુરની સ્થાપનાનો ઇતિહાસ ચાંપાનેર(પાવાગઢ)ના છેલ્લા રાજા જયસિંહ(પતઇ રાજા) ના રાજ્ય શાસનના અંત સાથે સંકળાયેલ છે.
ચાંપાનેરમાં (૧૪૫૧ થી ૧૪૮૫) રાજા જયસિંહનું શાસન હતું. મુસ્લીમ બાદશાહ મહંમદ બેગડાએ રાજા જયસિંહના સાળાને વિશ્વાસમાં લઇ ચાંપાનેર પર હુમલો કર્યો મહંમદ બેગડાએ રાજા જયસિંહના સમગ્ર પરિવારની કતલ કરી પરંતુ રાજા જયસિંહની એક રાણી તેના વફાદાર નોકરને કારણે મહંમદ બેગડાના ખુની ખંજરનો ભોગ બનતા બચી ગઇ. રાણીનો આ વફાદાર નોકર રાણીને લઇ ગુપ્ત માર્ગે નાસી છુટ્યો. આ વખતે રાણી સગર્ભા હતી.
ચાંપાનેરથી ભાગેલી રાણી અને તેનો નોકર ભટકતા આદિવાસી વિસ્તારમાં જઇ પહોચ્યા. જાંબુઘોડા, પાવીજેતપુર, તેજગઢ પાર કરી તેઓ કડીપાણી અને કવાંટ પુર્વ પટ્ટીના વચ્ચેના મોહન નામના સ્થળે પહોંચ્યા. અહીં રાણીને પાણીની તરસ લાગી. મોહન નામના સ્થળે ત્યારે આદિવાસી રાજાનું શાસન હતું. રાણી અને તેનો નોકર આદિવાસી રાજાને ત્યાં પાણી પીવા ગયા. રખડતી ભટકતી રાણી સામાન્ય ગરીબ મહિલા જેવી લાગતી હતી. પરંતુ આદિવાસી રાજાને આ મહિલા કોઇ રાજઘરાનાની હોય તેવુ લાગ્યુ તેણે પુછપરછ કરી રાણીએ તેની વિતક કથા કહી. રાજાને કોઇ બહેન ન હતી તેથી આદિવાસી રાજાએ રાણીને બહેન બનાવી પોતાના ત્યાં આશરો આપ્યો.
ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ જોડીયા પુત્રને જન્મ આપ્યો. જેમાંના એકનું વિરસિંહ અને બીજાનું નામ અભયસિંહ રાણીએ રાખ્યું. બંન્ને રાજકુમાર મોટા થયા એકવાર અભયસિંહ જંગલમાં શિકાર કરવા નીકળ્યો ગણી કોશીષ કરવા છતાં શિકાર ન મળ્યો થાકેલો અભયસિંહ ઓરસંગ કિનારે આવ્યો. નદીમાંથી પાણી પી અભયસિંહ ત્યાં જંગલમાં એક વૃક્ષ નીચે આરામ કરવા લાંબો થયો અને તેને નિંદ્રાઆવી ગઇ. ત્યારે અભયસિંહને સ્વપ્ન આવ્યું ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને કહ્યું કે મને બહાર કાઢ અભયસિંહની નિંદ્રા તુટી તેણે ત્યાં તે જમીન ખોદાવી અને ત્યાંથી શિવલીંગ મળી આવ્યું. આ શિવલીંગની ત્યાં સ્થાપના કરી નાનું મંદિર અભયસિંહે ત્યાં બનાવ્યું તે મંદિર એટલે ઓરસંગ નદીના પુર્વ કિનારે આવેલુ જાગનાથ મંદિર. અભયસિંહે ઓરસંગના પૂર્વ કિનારે ગામ વસાવ્યું તેનું નામ ઉદયપુર રાખ્યું. ગામ વસાવ્યાના થોડા વર્ષમાં જ ગામમાં કોલેરા અને પ્લેગ જેવી બિમારી ફેલાઇ પરિણામે રાજા અભયસિંહ નદીના પશ્ચિમ કિનારે ગામ વસાવ્યું જે છોટાઉદેપુર કહેવાયું. ચાંપાનેરના રાજા જયસિંહના વારસ એવા અભયસિંહના વંશના છેલ્લા રાજા એટલે રાજવીશ્રી વિરેન્દ્રસિંહજી ચૌહાણ હતા. જેમણે ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન છોટાઉદેપુર સ્ટેટની ગાદી પર શાસન કર્યું. ૧૯૪૮માં દેશ આઝાદ થયા પછી છોટાઉદેપુર સ્ટેટ સ્વતંત્ર ભારતમાં વિલીન થયું.
Kamlesh Rathva
Source : facebook